Search This Blog

15/03/2013

'શ્રીમાન સત્યવાદી' ('૬૦)

ફિલ્મ : 'શ્રીમાન સત્યવાદી' ('૬૦)
નિર્માતા : મહિપતરાય શાહ
દિગ્દર્શક : એસ.એમ. અબ્બાસ
સંગીત : દત્તારામ
ગીતકારો : હસરત, ગુલશન બાવરા, ગુલઝાર દીનવી
રનિંગ ટાઈમ : ૧૪-રીલ્સ - ૧૪૭ મિનીટ
થીયેટર : રૂપમ (અમદાવાદ)
કલાકારો : રાજ કપૂર, શકીલા, મેહમુદ, રાધાકિશન, નઝીર હુસેન, બ્રહ્મ ભારદ્વાજ, રાજા નેને, મોની ચૅટર્જી, ઇંદિરા બંસલ, સુશીલ કુમાર (ફિલ્મ 'દોસ્તી'નો અપંગ હીરો)




***

ગીતો
૧. ઋત અલબેલી મસ્ત સમા, સાથ હંસિ ઔર રાત જવાં.... મૂકેશ
૨. એક બાત કહું વલ્લાહ, યે હુસ્ન સુભાન અલ્લાહ... મહેન્દ્ર-સુમન-મૂકેશ
૩. અય દિલ દેખે હૈં હમને બડે બડે સંગદિલ... મૂકેશ
૪. ભીગી હવાઓં મેં તેરી અદાઓં મેં, કૈસી બહાર હૈ... સુમન-મન્ના ડે
૫. રંગ રંગીલી બૉતલ કા દેખ લો જાદુ.... મુહમ્મદ રફી
૬. ક્યું ઉડા જાતા હૈ આંચલ, ક્યું નઝર શરમા રહી હૈ.... સુમન કલ્યાણપુર
૭. હાલ-એ-દિલ હમારા, જાને ના બેવફા, યે જમાના જમાના.... મૂકેશ
(ગુલઝાર દીનવી : ગીત નં. ૧,૨,૪ અને ૬ : હસરત જયપુરી ૩ અને
૭ ગુલશન બાવરા ગીત-૫) 

***

આજની ફિલ્મ 'શ્રીમાન સત્યવાદી' સારી હતી કે ફાલતુ, એ આ લેખ લખનારે કે વાંચનારે જોવાનો વિષય નથી. એમાં રાજ કપુર હતો ને...? એટલું મારા જેવા અનેક રાજ કપૂરના પાગલ ચાહકો માટે કાફી છે.

સહેજ પણ ટમી વગરનો પતલો પતલો રાજ જોવો, એ ઝાડી પાછળથી હમણાં જ નાહીને આવેલા મોરલા જેવો સોહામણો લાગે. ઈમ્પ્રેસ થઈ જવાનં એકલું એની ભૂરી આંખો કે ગોરી ચામડીમાં નથી, સાલો સાદગીમાં ય શહેનશાહ લાગતો હતો. એના કપડાં એટલે કોણી સુધી બાંયો ચઢાવેલું સાદું શર્ટ અને ખુલ્લું પાટલૂન. 'સંગમ' પહેલા તો એવી ભાગ્યે જ કોઈ ફિલ્મ આવી છે જેમાં એને વધુ હૅન્ડસમ દેખાવાનો શૂટ-બૂટવાળો સામાન વાપરવા મળ્યો હોય. અલબત્ત, આ ફિલ્મમાં એને 'પ્રિન્સ ચાર્મિંગ' જેવા શૂટ-બૂટ પહેરવા મળ્યા છે. મને તો ઘણી વાર એવું લાગ્યું છે કે, રાજ કપૂર પંજાબી નહિ, સિંધી હશે. એ સીંધી જેવો વધારે લાગે છે. સિંધીઓ પણ આવા જ ગોરા ચીટ્ટા હોય છે. અસર ચાર્લી ચૅપલિનની હતી એટલે ભારતના સામાન્ય માણસનું પ્રતિનિધિત્વ કરતા હોય, એવા રોલ એણે પસંદ કર્યા હતા. અર્થાત્, મિડલ-ક્લાસ માણસના રોલમાં છટાદાર લાગતો, એમાં ઈમ્પ્રેસ થઈ જવું પડે... ન થવાતું હોય તો બેહતર છે ભદ્રકાળીના મંદિરે જઈ, દસ રૂપિયાવાળું નારીયેળ વધેરી આવવું, પણ ખોટો જીવ ન બાળવો કે આપણે સાલા દસ-દસ હજારના કૂરતા-ચૂડીદાર પહેરીએ છીએ તો ય રાજ કપૂર જેવા કેમ નથી શોભતા...? બસ, રાજને ગમાડવા માટે આ કારણ પર્યાપ્ત છે. રાજ એ રાજ છે... હતો નહિ, હજી છે જ!

'શ્રીમાન સત્યવાદી' જોવા-ગમવાનું બીજું કારણ એનું સંગીત હતું. મૂકેશના કંઠને નાના બાળકની જેમ નવરાડી-ધોવરાવીને કેવો ખુશ્બુદાર બનાવીને સંગીતકાર દત્તારામ વાડકરે રજુ કર્યો છે! રાજ પર મૂકેશનો કંઠ પરફૅક્ટ જતો હતો ને એમાં ફિલ્મના પહેલા જ સોલો ગીત, 'રૂત અલબેલી મસ્ત સમા, સાથ હંસિ ઔર રાત જવાં...'ના એક અંતરામાં 'તોબા' શબ્દ આવે છે. અહીં મૂકેશ 'તૌબા'ને બદલે 'તોબા' ગાય છે, એનું કારણ ગમે તે હોય, આપણને વધારે મીઠડું લાગે છે, જેમ ફિલ્મ 'ગંગા જમુના'ના 'નૈન લડ જઈ હૈ...' ગીતમાં રફી '...પ્યાર કી મીઠી ગજલ'માં 'ઝ'ને બદલે 'જ' ગાય છે, એમાં મૂળ શબ્દ જ 'ગજલ' હશે, એવું આપણને મનાવી દેવાની મીઠાશ લાગે છે. યસ. સદીઓ સુધી ચાલતું રહે-વાગતું રહે ને ગમતું રહે એવું મૂકેશનું ગીત, 'હાલ-એ-દિલ હમારા, જાને ના, બેવફા યે જમાના જમાના' મૂકેશના સર્વોત્તમ ગીતોના તમારા લિસ્ટમાં હજી સુધી ન આવ્યું હોય તો તાબડતોબ આ ગીત 'યૂ ટયુબ' પર જોઇ-સાંભળી લેજો. એમાં જે ઠૂમકો મારીને મૂકેશ 'ભૈયા...' ગાય છે, એ કાનને નહિ, ઈવન કોણીને ય મીઠડું લાગે છે... કોકને આપણે કોણી મારીને વગર બોલે કંઇક બતાવતા હોઈએ, એ અંદાઝનું 'ભૈયા...' મૂકેશ ગાય છે. દત્તુ વાડકર. મૂળ ગોવાના આ સંગીતકાર સદૈવ શંકર-જયકિશનના આસિસ્ટન્ટ તરીકે જીંદગી ખર્ચી નાંખી ને વચમા વચમાં પોતાને કોઈ સ્વતંત્ર ફિલ્મો મળે તો એમાં ય જાન રેડી દેવાનો. એવી તો બસ, ૧૨-જ ફિલ્મોમાં દત્તારામે સંગીત આપ્યું. અબ દિલ્લી દૂર નહિ (છુન છુન કરતી આઇ ચીડિયા) પરવરીશ (આંસુ ભરી હૈ યે જીવન કી રાહેં), કૈદી નં. ૯૧૧ (મીઠી મીઠી બાતોં સે બચના જરા), શ્રીમાન સત્યવાદી, જીંદગી ઔર ખ્વાબ (મૂકેશનું બેનમૂન સોલો, 'કભી કિસી કી ખુશીયાં કોઈ લૂટેના, બનતે બનતે મહલ કિસી કા તૂટેના...), ડાર્ક સ્ટ્રીટ (ઈતને બડે જહાં મેં, અપના ભી કોઇ હોતા), નીલી આંખે, 'અય મેરે જાનેવફા, મૈંને દેખા હૈં યે ક્યા....' (મુકેશ) જબ સે તુમ્હેં દેખા હૈ (કવ્વાલી - 'તુમ્હેં હુસ્ન દે કે ખુદાને સિતમગર બનાયા બનાયા') રાકા, (કવ્વાલી : રફી-આશાની, 'તેરી મેહરબાની હોગી, બડી મેહરબાની...) ફરિશ્તા, બાલક (સુન લે બાપૂ યે પૈગામ, મેરી ચિઠ્ઠી તેરે નામ) અને છેલ્લી '૭૧માં આવેલી ફિલ્મ 'એક દિન આધી રાત'.

આમ તો હવે એ વાત છુપી રહી નથી કે, શંકર-જયકિશનના આસિસ્ટન્ટ્સ તરીકે દત્તારામ-સૅબેસ્ટીયન બન્ને પાછા અંગત રીતે અનુક્રમે જયકિશન અને શંકર સાથે જોડાયેલા. એ જ રીતે, ગીતકાર શેલેન્દ્ર કેવળ શંકરને ગીતો લખી આપે અને હસરત જયપુરી ફક્ત જયકિશનને. થોડા ઘણા અપવાદો છે પણ ખરા, પણ એ અપવાદ સ્વરૂપે જ. તો નવાઈ લાગે કે, પોતાના સંગીતની આ ફિલ્મમાં દત્તારામે શૈલેન્દ્રનો છેદ કેમ ઊડાડી દીધો અને હસરત સાથે બીજા બે ગીતકારોમાં ગુલશન બાવરા અને ગુલઝાર દીનવીને લીધા? હશે કોઇ પ્રોબ્લેમ, પણ અમુક પ્રોબ્લેમો આપણે ન જાણીએ, એ જ બેહતર છે. જેમ કે, જે ઠેકાને કારણે દત્તારામ આજ તક મશહૂર છે, એ દત્તુઠેકા ઉપર કેમ એક પણ ગીત નહિ? (ઠેકો એટલે રિધમની એક પૅટર્ન. ગીતમાં તબલા-ઢોલકની જે થાપ પડતી રહે, એને ઠેકો કહેવાય... દત્તારામના પોતાના ગીતોમાં, 'મીઠી મીઠી બાતોં સે બચના જરા...' 'બોલે યે દિલ કા ઇશારા, આંખોંને મિલકે પુકારા', 'પ્યાર ભરી યે ઘટાયેં, રાગ મિલન કે સુનાયે...' 'મસ્તીભરા હૈ સમા, હમતુમ હૈ દોનોં યહાં...' તો અન્ય સંગીતકારોએ આ ઠેકો અપનાવી દત્તારામને શ્રધ્ધાંજલિ આપી છે. પંચમ એટલે કે રાહુલદેવ બર્મને ફિલ્મ 'પતિ-પત્ની'માં લતાના ગીત, 'કજરે બદરવા રે, મરજી તેરી હૈ ક્યા જાલમા...' કલ્યાણજી-આણંદજીએ 'બેદર્દ જમાના ક્યા જાને'માં લતા-રફીના, ''મૈં યહાં તુ કહાં, મેરા દિલ જીસે પુકારે...' ગીતમાં દત્તુ ઠેકો લીધો છે. આજે પણ કોઈ ગીતના રીહર્સલ પહેલા સંગીતકાર એના પર્કશન્સ વાદકોને કહી દે છે, 'આ ગીતમાં દત્તુ ઠેકો વગાડવાનો છે. (હવે તમે થોડું મગજ કસો કે, ઉપર કીધાં, એવા દત્તુ ઠેકાના તમે કેટલા ગીતો શોધી શકો છો?)

પછી તો ફિલ્મ ગમવાના ત્રીજા કારણમાં હીરોઈન શકીલા હતી ને શકુ નસીબદાર પણ કેવી કે દિલીપ કુમારને બાદ કરતા તત્સમયના મોટા ભાગના સફળ હીરો સાથે કામ કરી ચૂકી છે. વચમાં, આ કૉલમમાં વાંચીને મુંબઈના એક ગુજરાતી વણિક બહેને મને ફોન કર્યો હતો. નામ વિસ્મૃતિમાં ગયું છે, પણ તેઓ દિલીપકુમારના પત્ની સાયરા બાનુના વર્ષોથી સેક્રેટરી છે. એમણે ફોન કરીને મારું ધ્યાન દોર્યું કે, શકીલા હવે પહેલાના મકાનમાં નથી રહેતી, પણ શકીલા વ્યક્તિ તરીકે બહુ ઉમદા છે, એવું એ બહેને કીધું હતું. અલબત્ત, ગુજરાતના એક સન્માન્નીય લેખક-પત્રકારે એમની કૉલમમાં નોંધ્યું હતુ કે, શકીલા ગુજરાતના એક રેલ્વે સ્ટેશને ગાડી ઊભી રહી ત્યારે ચા-નાસ્તાવાળા ફેરીયા સાથે ઘણું ઝગડતી જોવા મળી હતી.

શકીલાની એક સિધ્ધિ સ્વીકારવી પડે. એ જમાનાની એક પણ હીરોઈન શકીલા જેવી ગ્લૅમરસ નહોતી. નૂતન, મીનાકુમારી, નરગીસ, વહિદા, માલા સિન્હા કે બીજી કોઇપણ... સુંદર બેશક હતી, પણ ગ્લૅમરસ - એટલે સાદી ભાષામાં કહીએ તો મારકણું રૂપ અને પાનના ગલ્લાની ભાષામાં કહીએ તો 'સૅક્સી' લાગતી નહોતી, જે શકીલા લાગતી. શશીકલા બેશક વધુ ગ્લૅમરસ દેખાતી. અહીં 'શ્રીમાન સત્યવાદી'માં પણ તે મારકણી જ દેખાય છે. એ વાત જુદી છે કે, ઍક્ટિંગ-ફૅક્ટિંગ એનો સબ્જૅક્ટ નહોતો. મેહમુદ માટે એમ કહેવાતું કે, દરેક દ્રષ્યને એ ખાઈ જતો, એમાં ભલભલા હીરો સાથે કામ કરતા બંધ થઈ ગયા. એક તબક્કો એવો આવ્યો કે, મોટા ભાગના હીરો કરતા એનો ભાવ વધુ હતો, પણ અહીં રાજ કપૂર સામે તો સીન ખાઈ જવાનો કે રાજ કરતાં ય વધારે પૈસા મેળવવાનો તો કોઈ સવાલ જ ન આવે, પણ બેશક અભિનયની સરખામણીમાં એ રાજ-દેવ કે દિલીપ કરતા એક ઈંચ પણ ઉતરતો નહોતો. કમનસીબે, આપણા દેશમાં કૉમેડીયનોને ઍક્ટર નથી માનવામાં આવતા, કૉમેડિયન જ માનવામાં આવે છે. મેહમુદને કૅમેરામાં પોતે કેવો દેખાય છે, એની ફિકર નહોતી. બસ. પ્રેક્ષકોને હસવું આવવું જોઈએ ને એમાં તો આજ સુધી મેહમુદનો કોઈ સાની થયો નથી. અલબત્ત, ફૉર ઍ ચેઈન્જ... આ ફિલ્મમાં એ વિલન બન્યો છે. બાકી હિંદી ફિલ્મોએ આજ સુધી રાધાકિશન સરીખો એક પણ વિલન-કૉમેડીયન જોયો નથી. એ ગળાની કઈ સાઇડમાંથી આવો અવાજ કાઢતો હતો કે, રામભરોસે હિંદુ હોટલને ગલ્લે બેઠેલો મેનેજર એક ટીપિકલ ઘૃણાસ્પદ અવાજમાં વેઇટરોને સૂચના આપતો રહે, એવો અવાજ દરેક ફિલ્મમાં કાઢતો. તમને પરદા ઉપર જઈને સાલાને થપ્પડ મારી આવવાનું ઝનૂન ઉપડે, એવો સફળ વિલન. કમનસીબે, રાધાકિશન વિશે કોઈ માહિતી મળતી નથી. એટલું તો મને નાનપણમાં જાણવા મળ્યું હતું કે, રાધાકિશને મુંબઈમાં પોતાના બિલ્ડિંગના કોઈ ૮મા ૧૦મા માળેથી પડતું મૂકીને આપઘાત કર્યો હતો-કેમ કર્યો હતો, એ આજ સુધી રહસ્ય છે. આ ફિલ્મમાં કોઈ રહસ્ય નથી. અત્યંત ફાલતુ વાર્તાવાળી ફિલ્મ હોવા છતાં રાજ કપૂર અને મેહમુદને કારણે કંટાળો આવે એવી નથી બની. રાજ કપૂરને સત્યવાદી બતાવી ફિલ્મ 'અનાડી' સુપરહિટ ગઈ, એટલે એનું આખું કેરેક્ટર ચોરી લઈને આ ફિલ્મમાં ઘુસાડી દેવાયું, પણ ત્યાં તો ઋષિકેશ મુકર્જી હતા... જેમની બરોબરીનો દિગ્દર્શક તો હજી ય નથી આવ્યો, ત્યાં આ ફિલ્મના દિગ્દર્શક એસ.એમ. અબ્બાસનો ક્યાં ગજ વાગે?

એક નાના શહેરમાં મોહનલાલ (રાજા નેને) દવાની દુકાન ઈમાનદારીથી ચલાવતો હોય છે, જે ગુણો એના સુપુત્ર વિજય (રાજ કપૂર)માં ઉતર્યા છે, પણ સામેની દુકાન ચલાવતા લાલચંદ (રાધાકિશન) અને તેનો કુપુત્ર કિશોર (મેહમુદ) બેઈમાનીનો ધંધો કરે છે. લાલચંદ કાવતરું કરીને મોહનલાલને પોલીસમાં ફસાવી દે છે, એના આઘાતમાં એ ગૂજરી જાય છે. એમના મિત્ર ડૉક્ટર (બી.એન. મધુર) વિજયને પોતાને ત્યાં રાખી ગ્રેજ્યુએટ બનાવે છે ને મુંબઈ કરોડપતિ દોસ્ત ચમ્પાલાલને ઘેર નોકરી માટે મોકલે છે, જ્યાં એમની દીકરી ગીતા (શકીલા) સાથે વિજયને પ્રેમ થઈ જાય છે, જે કિશોરને નથી ગમતું. કિશોરના નાલાયક ફાધર લાલચંદ કિશોરને ગીતા સાથે પરણાવી લાખો-કરોડોની દૌલત હડપવા માંગે છે. કિશોર ફિલ્મના અંત સુધી ગીતા-વિજયના પ્રેમમાં રોડાં નાંખતો રહે છે ને છેલ્લે સહુ સારાવાનાં થાય છે.

નવાઈ એ વાતની લાગે કે, ફિલ્મમાં એક છાપાના તંત્રી બનતા મોની ચેટર્જીએ ગુરૂદેવ રવિંદ્રનાથ ટાગોર જેવી બાલ-દાઢી રાખી છે, એમાં એક જ દ્રષ્યમાં એક વખત માથાના વાળ વાંકડીયા છે ને કાચી સેકંડમાં બીજા દ્રષ્યમાં એ વાળ સીધાસપાટ કેવી રીતે થઈ જાય? આજની છોકરીઓ વાંકડીયા (કર્લી) વાળ સીધા કરાવવાના દસ-દસ હજાર રૂપિયા આપે છે... આ ફિલ્મ જોઈ લે તો સીધો દસ હજારનો ફાયદો કે નહિ?

'શ્રીમાન સત્યવાદી'માં આ ફિલ્મ આપણા ગુજરાતી નિર્માતા શ્રી.મહિપતરાય શાહે બનાવી હતી (ફિલ્મ 'રોજા' પણ એમની જ!) આ ફિલ્મના બે વર્ષ પહેલા જ રાજ કપૂરે એમની ફિલ્મ 'પરવરીશ'માં પૈસા કમાવી આપ્યા હતા, એટલે એ ફિલ્મના રાજ કપૂર, મેહમુદ અને સંગીતકાર દત્તારામને જ સાથે રાખીને 'શ્રીમાન સત્યવાદી' પણ બનાવી. આમાં અનિલ કુંબલે જેવું થયું.

અનિલે પાકિસ્તાન સામેની દિલ્હી ટેસ્ટમાં એક દાવની ૧૦-વિકેટો લઈ લીધી (મેચની ૧૪-વિકેટો) ને એ પછી તરતની જ ટેસ્ટમાં પાકિસ્તાન સામે બહુ પિટાઈ ગયો. એટલે જ સની ગાવસકર જેવા દિગ્ગજો સરસ શબ્દો વાપરે છે કે, ભિૈબંીા ૈજ ચ યિીચા યચસી ર્ક નીપીનનીિ. અર્થાત્, એક મેચમાં તમે સુપર હીરો હો ને બીજીમાં ઝીરો. અહીં પણ 'પરવરીશ' સુપરહિટ સાબિત થયેલી ને આ 'શ્રીમાન સત્યવાદી' તદ્દન ફ્લૉપ. પછી તો માર ખાધેલા મહિપતરાય ધાર્મિક ફિલ્મો બનાવવા ઉપર ચઢી ગયા. (મુંબઈના કોઈ કૉમેડી નાટકનું આવું નામ કેવું શોભે, ''માર ખાધેલા મહિપતરાય'...!!!)

ફિલ્મ 'કણ કણ મેં ભગવાન' (જેમાં સુમન કલ્યાણપુરનું મધરૂં ગીત હતું, 'અપને પિયા કી મૈં તો બની રે જોગનીયા'). એમાં ય શકરવાર વળ્યો નહિ ને છેલ્લે છેલ્લે તો પહેલા કરતા ય વધુ ફ્લૉપ અને ફાલતુ ફિલ્મો 'ધર્મેન્દ્ર-મીના કુમારીનું 'પૂર્ણિમા' અને દેવ આનંદ-આશા પારેખનું 'મહલ' બનાવીને કંપની બંધ કરી દીધી.

અલબત્ત, કંપની રૂપકલા પિક્ચર્સ બંધ થઈ હતી, નિર્માતા મહિપતરાય શાહ સક્રીય રહ્યા હતા.

No comments: