Search This Blog

18/04/2001

આઇસીસીયુમાં જતી વખતે ઘ્યાનમાં રાખવાની બબાલો

તમે ટેન્શનમાં હો ને જરા ફ્રેશ થવું હોય - થોડાં હસી પડવું હોય તો કોઈપણ હૉસ્પિટલના આઇસીસીયુ એટલે કે ‘ઇન્ટેન્સિવ કાર્ડિયાક કૅર યુનિટ’માં એક આંટો મારી આવો. આઇસીયુ એટલે કે, ઇન્ટેન્સિવ કૅર યુનિટ પણ ચાલે. અંદર જવાની ય જરૂર નથી બહાર ઊભેલાના મોઢા જોઈ લો. જે પૉઝમાં એ લોકો ઊભા હોય એ જોઈને હસવું આવી જાય. બહાર ચાંપલાશથી ફરતા હોય પણ દર્દીની ખબર કાઢવા આવ્યા હોય એ બતાવવા ડાહ્યા-ડમરાં થઈ અદબ વાળીને ગંભીર મોંઢે ઊભા હોય.

હૉસ્પિટલની લૉબીમાં આમ અદબ વાળીને ઊભેલા રહેવાનું કારણ શું, એ મને ક્યારેય સમજાયું નથી. હું ય જાણું છું કે આઇસીયુ-ની બહાર બે હાથની અદબ વાળીને ઊભા ન રહો તો ઔર તુમ કર ભી ક્યા સકતે હો ? આ વખતે, મંગળાની આરતી ગવાતી હોય એમ કોઈ હળવે ઝાટકે તાળીઓ પાડીને લાઈનમાં ન ઊભું રહે. હું ય સમજું છું ખબર કાઢવા આવનારાઓ વધીગયા તો સામસામા ‘અ’ અને ‘બ’ વિભાગ પાડીને અંતાક્ષરી પણ રમવાની ન હોય. વળી, આમાં મોઢું ગંભીર રાખો તો કાંઈ ખોટું ય નથી કારણ કે, ‘દે તાલ્લી’ કહીને વાતો કરવાની આ જગ્યા નથી.

પણ મને સમજાતી નથી એક વાત કે, અહીં આવીનેજ લોકો શેનાં દિલીપકુમાર બની જાય છે ? મોઢું એવું ઢીલું રાખશે કે, અંદર હૂવડાવેલો ઉપર જતો રહે ને બહાર ઊભેલા એના કુટુંબીજનોને અંદર હૂવડાવવા પડે ! બબ્બે મિનિટે દર્દીની અને એનાં કુટુંબીજનોની દયા ખાવા માંડે, ‘હા, ભ’ઈ... આ દાખલ કર્યા એટલે તમારે તો લેવા-દેવા વગરની ૪૦-૫૦ હજારની ચોંટી ને?... અરે આટલા ખર્ચ્યા પછી ય એ બચે તો બરોબર છે... બાકી તો પૈસા પડી જાય છે.’

હાળા વાંદરા, તું દર્દીની ખબર કાઢવા આવ્યો છું કે એના કુટુંબનું ટેન્શન વધારવા ? પ્રશ્નો ય એવા પૂછે કે, સાંભળ્યા પછી અંદર હૂવડાવેલો તો ઠીક, બહારવાળાં ય છેલ્લાં ડચકાં ખાય !

ડૉક્ટરે કેટલાં કલાક કીધાં છે ?’

આવું પૂછવા માટે ઘેરથી જ ઘડિયાળ લેતો આવ્યો હોય ને આ સવાલ ઘડિયાળમાં જોઈને પૂછે. જવાબમાં ઘરવાળું કોઈ કહે કે, ‘‘આમ તો ડૉક્ટરે ૨૪ કલાક કીધાં છે... ૩૬ કલાક તો થઈ ગયા !’’ આ જવાબ ઘરવાળાએ નિરાશ થઈને આપ્યો છે કે રાજી થઈને, એનો આધાર અંદર કોને હૂવડાવ્યો છે - એની ઉપર છે.

કંઈ બાકી રહી જતું હોય એમ, એની સાથે આવેલું તદ્દન નવી માહિતી આપવાનો હોય એમ કહેશે,

આમાં તો એવું છે કે, બચી જાય તો બચી ય જાય... અને ઘણીવાર ના ય બચે ! પણ ૨૪ કલાક થઈ ગયા એટલે ચિંતા નહિં... પણ, ઍક્ચ્યૂઅલી... એમને થયુ’ તું શું ?’

ખરેખર તો આવો ઇડિયટ જેવો સવાલ પૂછવા માટે એક થપ્પડ ઝીંકી દેવી જોઈએ, પણ ન ઝીંકાય કારણ કે, ‘શાંતિ રાખો’નું બોર્ડ લટકતું હોય ! કંઈક થયું હોય તો જ દાખલ કર્યા હોય ને ? આમાં કાંઈ એવું ન હોય કે, બાબાનું નક્કી કરવાનું હતું ને કોઈ સારું ઠેકાણું મળતું ન હતું, તે મેં કીઘું હેંડો કોઈ હૉસ્પિટલમાં દાખલ થતાં આવીએ.. ભ’ઈ બાબાનું નસીબ જોર કરતું હોય ને ન્યાતની કોક છોકરીને દાખલ કરી હોય તો જન્માક્ષર મેળવતાં અવાય ! આ તો જરા આ બાજુ નીકળ્યા હતા તે લશ્કરમાં નામ નોંધાવતા આવીએ, એટલું ઇઝીલી આઇસીસીયુ-માં દાખલ થવા કોઈ ન આવ્યું હોય!

ઇન ફૅક્ટ, આજકાલ તો આઇસીયુ કે આઇસીસીયુમાં દાખલ થઈ બતાડવું એ પણ સ્ટૅટસ કહેવાય છે. કોઈ સામાન્ય ખાટલે દાખલ થઈ જુઓ. કોઈ નવરૂં નથી ખબર કાઢવા આવવા માટે ! આઇસીસીયુ બોલતાં જ દાખલ થનારનો નહિ, ખબર કાઢવા આવનારનો ય માભો પડે છે. સ્પેશિયલ રૂમોમાં ખબર કાઢવા આવવાની હવે પહેલા જેવી મઝા રહી નથી. એક તો આટલે દૂરથી મોટી આશાઓ લઈને ખબર કાઢવા આવ્યા હોઈ ને ખબર પડે કે, ડોહો હેમખેમ છે ને બીજા વીસ વરસ કાઢે એવો છે. સ્પે. રૂમનો અર્થ જ એ કે, પાર્ટી બચી ગઈ છે ને ઘેર પાછી આવવાની છે... આપણને બુકે અને ફ્રુટસ્ની સાલી બસો અઢીસોની ઉઠે ને આપણી નજર સામે ડોહો ફ્રુટસ્ને બચકાં ભરીને ખાવાનો છે.

ફોર્ચ્યૂનેટલી, નસીબ સારું હોય તો મોટે ભાગે આઇસીસીયુમાં ખબર કાઢવા ગયા પછી ખોટો ધક્કો પડતો નથી... પાર્ટી એક-બે દહાડામાં તો ઊઠી જ જતી હોય છે... ઘેર દાખલ થઈ હોય તો બચી જવાય ! સ્પે. રૂમમાં દાખલ કર્યા હોય ને ન જાઓ તો હજી ચાલે, પણ એકલાં નવરાં ખબર કાઢવા હરખપદુડા થઈને પહોંચી જઈએ છીએ... દર્દીની તો ઠીક ત્યાંના વોર્ડ-બોય કે નર્સની આખી ન્યાતમાંથી ય કોઈ ખબર કાઢવા આવ્યું હોતું નથી. ‘‘આ લોકોને બીજો કોઈ કામધંધો કે હૉબી લાગતી નથી’’ - આપણા માટે ખોટી છાપ ત્યાંના ડૉક્ટરો ઉપર પડે છે.

ઇશ્વરનો ઉપકાર કે, આઇ.સી.યુ.માં ખબર કાઢવા જાઓ તો જાલીમ જમાનો તમારી આવી મશ્કરીઓ કરતો નથી લોકો માનથી જુએ છે. ‘‘જોયું ? આટલા બિઝી હતા, પણ ખબર પડી કે તરત દોડતાં આવ્યા !’’ ખૂબીની વાત એ છે કે, દર્દીવાળા ગૅટની બહાર આપણાં જેવા જ બીજા દસ-બાર ઓળખિતાઓ ભરાઈ પડયા હોય છે. એમના ચહેરા પર ચિંતા ભરાઈ પડવાની હોય છે કે દર્દીના બચી જવાની તે તો જગતનું કોઈ સાયન્સ નક્કી કરી શક્યું નથી. સ્પે. રૂમ કરતાં અહીં જરા સહેલું હોય છે કે, અહીં આવ્યા પછી મોઢું થોડું ભારે રાખીને એક ખૂણામાં ઊભા રહી જવાનું હોય છે અને પાંચ-સાત સિલી સવાલો પૂછવાના હોય છે. (૧) ‘‘શું લાગે છે ?’’ આવું નળમાંથી હવા નીકળતી હોય એવા છપછપ અવાજે બાજુવાળાને પૂછવાથી એ ય ડાયો થઈ છપછપ અવાજે જવાબ આપશે ‘‘ગરમી બહુ લાગે છે.’’ (૨) બીજો સવાલ એવો જ પૂછો, ‘‘ડૉક્ટર શું કહે છે?...’’ અહીં સાચું હોય તો ય આપણાથી ના કહેવાય કે, ડૉક્ટરની તો જીભ ખચકાય છે... એટલે શું કહે છે એના કરતાં કેટલું કહે છે, એ અગત્યનું છે. (૩) ‘‘અંદર જવા દે છે ?’’ એનો સાચો જવાબ એ હોવો જોઈએ કે, દર્દીને પોતાને ય માંડમાંડ જવા દીધા... અહીંના રૂલ્સ બહુ કડક છે.’’ એને બદલે આપણને જવાબ મળે છે, ‘‘એક એક કરીને અંદર જવા દે છે...’’ સંસ્થા જાણવા માંગે છે કે, આવી માહિતી આપણને આપવાની શી જરૂર ? આપણે ડોબા છીએ,તે આપણને ખબર ન પડે કે, એકએક કરીને જવાનુંછે ! આઇસીસીયુમાં બધા એકબીજાનો હાથ પકડીને ‘ક્બ્બડી, કબ્બડી કબ્બડી’ કરતાં તો દર્દીના ખાટલે ન અડી આવે ને ? (૪) ‘‘હજી કેટલા દિવસ અહીં રાખવાના છે ?’’ દર્દી મૈસુર કાફેમાં મસાલા ઢોંસા ખાવા આવ્યો હોય ને પાકિટ ભૂલી જવાથી મૅનેજરે રોકી રાખ્યો હોય ને તમે પૂછો, તે બરાબર છે કે, ‘‘હજી કેટલા દહાડા રાખવાના છે ?’’ (૫) ‘‘કોઈ પણ કામકાજ હોયતો કહેજો ભાભી ! મૂંઝાતા નહિ’’ એવું પૂછો તો દુનિયાની કોઈ ભાભી તમને એમ કહેવાની નથી કે, ‘‘કામકાજમાં તો બીજું શું હોય ભાઈ...બસ આ જરા હૉસ્પિટલનું બિલ ભરવાનું છે !’’ અથવા તો ‘‘બીજું તો કંઈ કામ નથી... અમે આંઈ હોશપીટલમાં પઇડાં છીં ને બાપુજી ઘેરે એખલા છે... એમને ય અસ્થમા છે... બની શકે તો બે-ચાર દિ’ બાપુજીને તમારા ઘેરે લઈ જાવ ને...!’’ આવું કોઈ કહેવાનું નથી, માટે દિલ ફાડીને કહે, ‘‘કંઈ કામકાજ હોય તો જણાવજો શરમાતા નહીં !’’ (૬) આઇસીયુમાં ખબર કાઢવા આવ્યા હો એટલે બુટ-ચપ્પલ બહાર ઉતારવા પડે અહીં સેન્ટિમૅન્ટલ થવાની જરૂર નથી. પૂછી જુઓ, ‘‘બુટ બહાર કાઢ્યા છે... એનો વાંધો નહીં ને ?’’ એ વાત જુદી છે કે જરીક છૂટ મળતી હોત તો તમે દર્દીના પલંગ નીચે બુટ કાઢત ને ?

ઇન કૅસ, અહીં તમને અંદર જવા મળે ને દર્દીનો સાક્ષાત્કાર થાય તો અહીં દાખલ થતા પહેલાં દર્દી પચ્ચાસ હિંદી ફિલ્મોમાં જોઈ ચૂક્યો હોય છે કે, હૉસ્પિટલમાં લાંબા થઈને પડયા પછી. અધખૂલી આંખે અવાજે લાચારીથી કયો ડાયલોગ મારવાનો હોય છે, ‘‘સુંઉં કામ તકલીફો લીધી ? ખોટા ધક્કા સંઉ કામ ખાધા ?’’મનમાં તમે ય સમજતા હો કે, ધક્કો તો સાચ્ચે જ ખોટો પડયો છે કારણ કે એ બચી ગયો છે એટલે બીજો ધક્કો તો હજી બાકી...

સિક્સર

ભૂજના ધરતીકંપ પછી મહાત્મા ગાંધીનું ૫૦૦ વર્ષ જૂનું બાવલું મળી આવ્યું... ને રૂા. ૫૦ હજારમાં વેચાયું !

11/04/2001

ભગવાન ઉપર હોય કે નીચે ?

શ્રીકૃષ્ણનું એક નામ ‘માધવ’ પણ હતું. ટેક્સની બબાલોથી બચવા માટે ભલભલા ભગવાનો પણ જુદાં જુદાં નામે બેન્કોમાં ખાતાં ખોલાવતા, પણ આઇ એમ શ્યોર, આપણાં માધવની એકેય ફિક્સ (ડિપોઝિટ) (એફ.ડી.)માધવપુરા બેન્કમાં પડી નહિ હોય. નહિ હોય તો એ માધવ હોવા છતાં પૂરો થઇ ગયો હોત.

આપણાં બધાની કોમેડી એ છે કે, વાણીયા પાસેથી વાણીયા બુદ્ધિ રાખીને હાલ પૂરતાં રૂપિયા છુટાં કરાવવા માટે ભગવાન શ્રી.કૃષ્ણને પડતા મૂકીને ભગવાન શ્રી. રમેશ પરીખના ફોટાને ઘૂપ- નૈવેદ્ય ધરવા માંડો. આપણી એફ.ડી.ઓ ભગવાન શ્રી.કૃષ્ણ મહાવીર કે શંકર ઘેર નથી પડી. રમેશના ઘેર પડી છે... ગરજે રમેશનેય ભગવાન કહેવો પડે! 

આમ તો ગુજરાતને પહેલેથી માધવ નડતો જ આવ્યો છે, પણ આ વખતે તો યદા યદા હિ ધર્મસ્ય વાળો ય દેખાતો નથી. એની પોતાની એફ.ડી. માધવપુરામાં હલવાઇ હોત તો ખબર પડત! 

ઇન શોર્ટ, માધવપુરા બેન્કે ઇશ્વર, અલ્લાહ, જીસસ, ઝૂલેલાલ, શ્રી. મહાવીર કે વાહે ગુરૂ- આ બધાં ‘ધર્મોને એક કરી આપવામાં માધવપુરા બેન્કનો ફાળો મોટો છે. આ બધા લપટાઇ ગયા છે ને બધાં ઉપરવાળાને ઉપર પ્રાર્થના કરી રહ્યાં છે... ‘હે ભગવાન, માધવપુરામાં તઇણ લાખનું નાહી નાંખ્યું છે... એટલીસ્ટ, ૪૦-૫૦ હજાર તો પાછા કઢાઇ આલ!’’ 

ધરમ કોઇ બી હો. સહુ હાથ જોડીને પ્રાર્થના ઉપર જોઇને જ કરે છે. બધા કહેતા ભલે હોય કે, પરમેશ્વર કણકણમાં વ્યાપેલો છે. આવું બોલવામાં સારૂં લાગે. પણ નીચે જમીન સામે જોઇને પ્રાર્થના કોઇ કરતું નથી. ભગવાન પોતેય ભૂજના ભૂકંપ પછી ફફડી ગયો છે તે આંટો મારવા પૂરતોય આકાશમાંથી હેઠે નથી ઉતરતો, એમાં માધવપુરાના ખાતેદારોને નંબર કયાંથી લાગે ? લોકો તો શું ભગવાનની પોતેય ગભરાય એવા બનાવો બનતા જ રહે છે. હમણાં એક સર્વધર્મ સદ્ભાવ સમારંભમાં જવાનું થયું. એમાં પીવા માટે પાણીના પાઉચ અપાય ! આખા હૉલમાં તહેલકાવાળાએ કયાંય વિડીયો કેમેરા ગોઠવ્યા ન હતા, છતાં દૂધનાં દાઝેલા લોકો પાણીની કોથળીય સ્વીકારતા ન હતા!...

વાંચકોએ એપ્રીશિએટ એ કરવું જોઇએ કે, દુનિયાભરના કોઇ સાઘુ-મહાત્માને જે પ્રશ્ન થયો નથી તે મહાત્મા અશોકાનંદજીનો થયો છે, કે ભગવાનને હરકોઇ ઉપર જોઇને જ કેમ યાદ કરે છે.? નીચે જવા દો- મેં તો કોઇ ભક્તને સાઇડમાં જોઇને પ્રભુને પ્રાર્થના કરતાં ય જોયો નથી. જગતના માત્ર એકજ સ્થળે પુરૂષ થોડી થોડીવાર માટે ડાબે -જમણે જોઇ લે છે પણ એ પરમેશ્વરની ખોજમાં નહિ ! ઇવન, ઉપર-આકાશ તરફી જોવામાં ય માથું વઘુમાં વઘુ ૪૫°ના ખૂણે રાખવામાં આવે છે. કોઇ સાવ સીઘું ઉપર (નાક ઉપર સીઘું આકાશમાં તાક્યું હોય એમ) જોઇને પ્રાર્થના કરતું નથી. એમ કરવામાં ડોકીનો મણકો ખસી જાય. કહેવાનો મતલબ જ એ થયો કે, ભક્તોને પણ જે એન્ગલથી ફાવે, એટલા એન્ગલે પ્રભુએ આકાશમાં રહેવું જોઇએ. સચીન તેન્ડુલકર સેન્ચુરી માર્યા પછી સીઘું ઉપર આકાશમાં જુએ છે એમાં રન આઉટ થઇ જાય છે. વ્યવહારિક રીતે, એણે સામા છેડાના બેટસમેન સામે જોવું જોઇએ કારણ કે, રન આઉટ કરાવશે તો એ કરાવશે, ભગવાન નહિ કરાવે ! નવાઇની વાત એ છે કે, સચીનીયા -ફચીનીયાઓની સેન્ચૂરીઓમાં મોટો ફાળો ગ્રાઉન્ડસમેનનો હોય છે. લમણું ભાંગી જાય એવી વિકેટ બનાવીને આપે તો હમણાં ખબર પડે કે વીહ-પચ્ચી રન બી કઇ કમાણી ઉપર થાય છે. ધાર્મિક રીતે તો, સદી પુરી કર્યા પછી સચીને અગરબત્તી હળગાઇને સ્ટમ્પની પાસે રોપી, જમીનમાં જોઇને પ્રાર્થના કરવી જોઇએ. ઉપર જોઇને શું બબડ-બબડ કરે છે. ભાઇ? ઉપર તો તું ગોળીઓ ચઢાઇને દુશ્મન-ફીલ્ડરનાં હાથમાં ઝલઇ જાય છે, જયારે ભૂમિ-દેવતા તો પકડાયેલો કેચ પણ છોડાવશે. ક્રિકેટના કાનૂનની મુજબ , જમીનને અડેલા કેચથી આઉટ ના અલાય, ભ’ઇ ! 

હા. જમીન પણ જાણે સુંદર વિધવા હોય એમ ગરજ પડે, ભક્તો નારીયેળ પછાડવાના કામમાં લે છે, કારણ કે, હવામાં ગમે તેટલું પછાડવાથી નારીયેળ તૂટતું નથી. ઇશ્વરમાં શ્રદ્ધા ગમે તેટલી હોય, કોઇ બી ભક્ત પોતાનાં બરડામાં નારીયેળ ફોડવાની છુટ આલતો નથી. ભલે ભગવાન કણકણમાં વ્યાપેલો હોય- કોઇનાં બરડામાં વ્યાપેલો હોય, એવું સાંભળ્યું

ધરમ કોઇપણ હો, પ્રેયર, પ્રાર્થના કે ઇબાદત સહુ ‘ઉપરવાળા’ને જ કરે છે. આ કંઇ ન સમજાય એવી બાબત છે. જો કે, આવું બઘું બાજુવાળાને નહિં કરાતું હોય... બાજુવાળા તો ઘણીવાર વ્હિસ્કી- બીયરનું મેળવણ લઇ જાય તો જામ્યાં પછી ચખાડવા ના બોલાવે ! ભગવાન આજુાબાજુા ઉપર-નીચે આગળ-પાછળ બદ્ધે હોય, એ વાત સાચી પણ ઉપર સાવ શૂન્યાવકાશ છે...ખાલી જગ્યા. ઉપર જો કાંઇ ન હોય તો ભગવાને ય કયાંથી હોવાનો છે? ઇવન વાદળાંય દ્રષ્ટિભ્રમ છે...વાદળાંને અડી શકાતું નથી. અડવા જાઓ તો હાથમાં વાવટો ય ના આવે.! 

...આપણે તો સાચું કહેવા જોઇએ, બૉસ, બધી બાબતોમાં ‘‘ઉપરવાળાની મહેરબાની છે’ એવું કહે કહે ના કરવું જોઇએ... ખાસ કરીને ફલેટોમાં રહેવા વાળાઓએ ! 

હા. મંદિર કે ઘરમંદિર એવી જગ્યા છે જયાં આપણે માત્ર સામે (ઇશ્વરની પ્રતિમા,જ નહિ આજુબાજુ (પ્રભુના અન્ય ફોટોગ્રાફ્સ મૂર્તિઓ) કે ઉપર-ધુમ્મટ તરફ જોઇને દર્શન કરી લઇએ છીએ. બધીજ વખતે ઘ્યાન ઇશ્વર તરફ નથી હોતું. કયારેક મોટું મન રાખીને ઇશ્વરે બનાવેલાં સુંદજર સર્જનો તરફ પણ પૂર્ણ ભક્તિભાવથી જોઇએ છીએ, પણ મંદિરોમાં ય નીચે લાદી તરફ જોઇને હરિસ્મરણ કરવાની વ્યવસ્થા વિચારાઇ નથી. નીચે તો પરમકૃપાલુ પરમાત્મા કરતાં બુટ ચપ્પલનું ઘ્યાન વઘું રાખવું પડે છે. ઘણીવાર તો ઉતાર્યા હોય ગેટ નં. ૩ ઉપર ને આઇને આપણે શોધાશોધી કરતા હોઇએ ગેટ નં. ૪ ઉપર, આવી શોધમશોધ બુટ-ચપ્પલ માટે હોય તો બરોબર છે...કેટલાકં લોકો તો પ્રભુને ય આવા ખોટાં ગેટ ઉપર શોધતાં હોય છે...દર્દ એ વાતનું છે કે બુટ-ચપ્પલ સાચવવાનો રૂપિયો જ આલવો પડે છે. જયારે ખોવાયેલી.... ફિક્સ ડિપોઝીટરો ગોતી આલવા ખુદ ઇશ્વર પણ વોચમેન... આઇ મીન વોચ ગાડ બનતો નથી. 

આમ તો, માધવપુરાવાળાઓએ મારા મિનિમમ ૫-૭ લાખ રૂપિયા બચાવ્યાં છે મેં ત્યાં કે બીજે કયાંય એફ.ડીનો રૂપિયો ય મ્હેંલ્યો નથી...મૂક્ત તો ૫-૭ લાખમાં હલવાઇ જાત પણ સાંભળ્યું છે કે, કોઇ તમારૂં ‘‘કરી જાય,’’ એ માટે તમારી પાસે કાંઇક હોવું જોઇએ. આ પગારમાં તો માધવપુરાવાળો ય મારૂં શું તોડી લેવાનો છે ? બાપૂ ફળીયામાં ટિકડી હાથમાં રાખીને આંટા મારતાં હતાં. કોકે પૂછ્યું તો બાપૂકિયે, ‘જયમાં પછી લેવાની ટિકડી છે.’’ તો પૂછ્યું. ‘‘તો લેતા કેમ નથી.?’’ 

‘‘ઓહ... ઇ માટે ય ઘરમાં જમવાનું તો કાંઇ હોવું જોંઇ કે નંઇ ?’’ 

આ સાંભળ્યા પછી ઇશ્વર પ્રત્યે મારી શ્રદ્ધા વધી ગઇ છે, વટ પાડતા એવું કહેવાનું મન તો ઘણું થાતું કે, ‘‘માધવપુરામાં મારાંય ૫-૭ લાખ હલવાઇ ગયાં છે.!’’ થેન્ક ગોડ....મારૂં તો કાંઇ ગયું નથી અને માટે જ ઉપર જ નહિ. જમીન ફાડીને ઠેઠ અંદરના એપીસેન્ટર સુધી પ્રાર્થના કરૂ છું કે, માધવપુરા કે માધવ અડધાવાળા મારૂં ૧૦૦-૨૦૦ કરોડનું કરી નાંખી શકે, એવું મને કંઇ આલ તો ખરો ! નાકમાંથી નીકળતાં શેડાં સાથે આજે તો શરમથી મારૂં માથું ઝૂકી જાય છે કે, લોકો પોતાની ડિપોઝીટરો પાછી લેવા, ભડકે બળતી માધવપુરા બેન્કની લાઇનમાં ઊભા હતાં, ત્યારે હું ફીડલ વગાડતો હતો. આઇ મીન, લૂછી લૂછીને દાલવડાં ખાતો હતો ! નાતજાતમાં સગાંસંબંધીઓ હરખઘેલાં થઇને પૂછવા આવે છે કે, ‘‘તમારૂં કેટલું ગયું?...ચલો પાર્ટી આપો એઓ...!’’ ત્યારે શરમથી અમે વિથ ફેમિલી પાણી-પાણી થઇ જઇએ છીએ.’’ અમારૂં તો કાંઇ નથી ગયું !’ એવું સાંભળ્યા પછી કયો ડીપોઝીટર પોતાની બેન-દીકરી મારા પ્રતાપી પુત્રો ધાંધલ અને ધમાલ સાથે પરણાવશે. ? દીકરી મસ્તાનીના દેહજમાં હું ભલે શકોરૂં ય ના આલું, પણ વેવાઇ-વેલાંની જબાનને લગામ દેવા માટે ડૂબેલી માધવપુરાની ડૂબેલી ફિક્સ ડીપોઝિટોની રસીદો આપી શકું તો મારી લાડકવાયીને સાલાઓ દુઃખ તો ન દે ! 

સુંઉ કિયો છો

સિકસર 
- હમણાં હમણાં- ભૂકંપ પછી તમારા બધાં લેખો બહુ જામ્યાં છે, હોં
- એટલે ?.... નબળાં પડશે ત્યારે પ્રભુને મારે શી પ્રાર્થના કરવી ?

28/03/2001

મુઝકો ભી તો લિફ્ટ કરા દે

આમ તો એક સોલ્લિડ હિંદુસ્તાની હોવાના નાતે દુશ્મન પાકિસ્તાનની કોઇ બી ચીજનાં વખાણ શેનાં કરવાનાં હોય? દુશ્મન હર હાલતમાં દુશ્મન છે. બેનઝીર ભુટ્ટો મને ડિમ્પલ કાપડિયા જેટલી જ ગમે છે. પણ ગલીપચીવાળો પ્રેમ શરૂ કરવાનો હોય તો બેની ગઇ હું તો ડિમ્પુની એપ્લિકેશન જ સ્વીકારૂં!

પણ હું એ નથી ભૂલતો કે, મારી નસનસમાં હિંદુનું અને હિંદુસ્તાનનું લોહી વહે છે. મને એ સંસ્કાર આપવામાં આવ્યાં છે કે, દુશ્મનની સારી ચીજની દિલ ફાડીને કદર કરતાં શીખો - મનમાં ખટકો કે વેર રાખીને નહિ! ભારતના કોઇપણ ગઝલ ગાયક કરતા મને ગુલામઅલી શ્રેષ્ઠ લાગે છે. હરભજને ભલે આ ટેસ્ટ સીરિઝમાં તરખાટ મચાવ્યો પણ હજી આજની તારીખમાં ‘સકીભાઇ’ ઉર્ફે સકલીન મુસ્તાક વર્લ્ડ બેસ્ટ છે. મને સ્કૂલથી જ એ શીખવવામાં આવ્યું છે કે, દુશ્મનનો ગાલ ચીકનો હોય તો ત્યાં થપ્પડ રસીદ કરવાને બદલે ચૂમી લેવો જોઇએ. આઇ મીન, એ ‘દુશ્મન’ને બદલે ‘દુશ્મની’ હોય તો.. ફરીથી આઇ મીન.. દુશ્મન સ્ત્રી હોય તો!

રાજકપુરની ફિલ્મ ‘હિના’ની હિરોઇન ઝેબા બખ્તિયાર આપણાં બધાંની ‘દુશ્મની’ જ હતી. પણ તેથી કાંઇ ઓફિસમાં અડધી સી.એલ. લઇને એના ગાલ ચૂમવા ન જવાય.. સીનિયોરિટી અને જીભ/જી્ ના વારા પ્રમાણે! આવી ચુમ્મા-ચુમ્મીની વાત લેખક કક્ષાથી આગળ જ વધવી ન જોઇએ.. સુંઉ કિયો છો?

આજે આપણે વાત એ જ ઝેબા બખ્તિયારના માજી પતિ અદનાન સામીની કરવાની છે. આ અદનાન આજકાલ ભારતીયોનાં દિલો-દિમાગ પર છવાઇ ગયો છે, એના એક વિડિયો - આલ્બમ દ્વારા. ‘તેરી ઉંચી શાન હૈ મૌલા, મેરી અરજી માન લે મૌલા’ એ આજકાલ ટીવી પર રોજ દેખાતું અદ્ભુત નૃત્ય-ગીત છે. આ અગાઉ મને સાવ અશોક કરી ગયેલાં ગીતો ટીવી પર ઘણાં હતાં. સર્વ પ્રથમ આપણાં બચ્ચનનું ‘એક રહિન બીર, એક રહિન ફત્તા’, બીજાં નંબર એકદમ લાડકું ‘સય્યોની’, ત્યાર પછી એ.આર.રહેમાનનું ‘વંદે માતરમ્’, પછી શોભા મુડગલનું ‘અબ કે સાવન ઐસે બરસે..’

- એ બધામાં હવે અદનાનનું આ ‘મૌલા’ વાળું ઉમેરાયું છે. માત્ર ગીત, શબ્દો, નૃત્ય, રીધમ કે મનોરંજનનું તત્વ જ નહિ, અદનાનનો અવાજ બેંગોલી મિષ્ટી (મિઠાઇ) જેવો મીઠડો છે. તમને ય ગમી જશે. અફ કોર્સ એને જોયા પછી જવાબ મળી જશે કે ચેહરામાં મઘુબાલાની ડિજીટલ છાંટ ધરાવતી ઝેબાને એને છુટાછેડા કઇ કમાણી ઉપર આપ્યાં હશે!

ઇનફેક્ટ, અદનાનનું ગોળમટોળ બોડી જોઇને કચ્છમાં ભૂકંપ થવાનું કારણ કાચી સેંકડમાં મળી જાય. જાડીયો છે પણ હેન્ડસમ છે. લાહોર-કરાંચીના ક્રિકેટ સ્ટેડિયમોની સાઇઝનાં બે ગાલ અને જે સ્ફૂર્તિથી એ નાચે છે, એ જોયા પછી ઝેબલીની દયા આવે કે, ‘આવા સ્ફૂર્તિલા હસબંડને છુટા છેડા આપી દેવાતાં હશે!’ આપવા જ હોય તો બીજાં કોઇ સારાં વરને આપીએ.. 

પણ લેખ લખવાનું કારણ આ ગીત ‘તેરી ઉંચી શાન હૈ મૌલા’માં સમાયેલું હાસ્યનું ઉંચું તત્વ-આજના સંદર્ભમાં માણવા જેવું છે.

ઘણાં લાંબા સમયે જેન્યુઇન હયુમરવાળું ગીત સાંભળવા મળ્યું. ફાટફાટ થતી મોંઘવારીમાં ચારે બાજુથી તૂટી ગયા પછી ઉપરવાળાને સીધી રીક્વેસ્ટ દ્વારા કહી દેવાયું છે કે, ‘તેરી ઉંચી શાન હૈ મૌલા, મેરી અરજી માન લે મૌલા, તૂ હૈ સબકુછ જાન લે મૌલા, મૈં હૂં તેરા માન લે મૌલા, મુઝ કો ભી તો લિફ્ટ કરા દે, થોડી સી તો લિફ્ટ કરા દે..’ એમ કહીને ખુદ ભગવાનને ઓપ્શન્સ આપ્યાં છે કે, ‘સાવ તૂટી ગયો છું બોસ. ડોલર આપ, નહિ તો પાઉન્ડ, નહિ તો દિનાર, નહિ તો ચેક-કેશ જે આલવું હોય તે આલ.. હાલ પૂરતી એ બધાની વ્યવસ્થા ન હોય તો મને વર્લ્ડ-ટુર પર મોકલી આપ. (ભૂકંપને કારણે સ્કૂલોમાં અત્યારે ફરજીયાત ૩-૪ મહિનાનું વેકેશન આવી ગયું એ જોઇ વિક્રમ શાહે વાઇફને કહ્યું, ‘ચલો આ વખતે વર્લ્ડ-ટુર કરી આવીએ..’ જવાબમાં નીનાબેન કહે, ‘ના- દર વખતે એકની એક જગ્યાએ મઝા ન આવે!’

જો કે, આ ગીતમાં જાડીયો એકની એક જગ્યાએ નાચ્યો છે.. મરીન લાઇન્સ પર કોઇ છાપરૂં નથી પણ એ મૌલાને વિનવે છે. ‘તૂ હી છપ્પર ફાડ દે, મૌલા’! હું હાડકું ય ન હલાવું. છાપરૂં ફાડવાનું કામે ય તારૂં, ભગવાન! અલબત્ત, સલામ આ ગીતના ડાન્સ-ડાયરેક્ટરને કે જે મર્યાદામાં રહીને એણે જાડીયાને નચાવ્યો છે એમાં ય આંખને જોવો ગમે એવો છે.. મોર ભલેને ઓવર-વેઇટ થઇ જાય, નાચે ત્યારે કમલ હાસન જેવો જ લાગે!

આ ગીત મને-તમને-બધાને ગમે એવું છે એનું કારણ એ જ કે, મનમાં આપણે બધાં જાણીએ છીએ કે, પૈસે-ટકે આજકાલ આપણે બધાં ધોવાઇ ગયાં છીએ. ઘરની બહાર નીકળાય એવી હાલત નથી. જમાનો હતો ત્યારે બગાસાંને બદલે બસ્સો રૂપિયાવાળા પિત્ઝા ખાનારાઓ આજે લાઇનમાં વારો આવે ત્યારે રૂપિયાની ત્રણ પુરી પકોડી ખાતાં થઇ ગયાં છે. પૈસા બાકી. બચ્ચનનો કરોડપતિ શો જોવામાં આપણાં હાથમાં તો વાવટો ય આવવાનો નથી. તો ય માનસિક હાલત એવી થઇ ગઇ છે કે, બીજા કોઇ લાખ-બે લાખ જીતે છે તો ય આપણાંથી રાજી થઇ જવાય છે. ‘પહેલાં સમું તરસનું એ ધોરણ રહ્યૂં નથી, પાણી મળે તો ય હવે પી જવાય છે!’ હાલત એવી છે કે, કોઇની મશ્કરી થાય એવી નથી. આ વખતે ઉપરવાળાએ ભલભલા રૂસ્તમોને ભાંગી નાંખ્યા છે. મંદી તો હતી જ, એમાં પૂર આવ્યું.. ભૂકંપ આવ્યો.. થોડી ઘણી લાજશરમ બાકી હતી ત્યાં માધવપુરા જેવી બેંકોએ કરી નાખ્યું. ડીપોઝીટ પાછી લેનારાઓની લાઇનમાં અમુક તો એવાં ય ઉભાં હતાં જે ત્રાસી જવાને બદલે મંદમંદ મુસ્કરાતા હતા. બેંકમાં એમનાં નામનું તગારૂં ય ડિપોઝીટ તરીકે પડેલું ન હતું. પણ લાઇનમાં ઉભા હોય તો જોનારામાં સ્ટેટ્સ વધી જાય કે, ‘આ લોકોનાં ય લાખ બે લાખ પડ્યાં લાગે છે..!’ એ પાછાં કહેય ખરાં, ‘સુઉં કરીએ.. આંઇ તઇણ લાખ પઇડાં છે ને કાલુપુરમાં અઢ્ઢી લાખ!.. ઉપાડવા તો પડે ને?’ આપણે ય જાણતાં હોઇએ કે, છેલ્લાં ત્રણ મહિનાથી કરિયાણાંવાળાના રૂા.૩૫/- તો દેતા નથી ને વાતો લાખોની કરે છે. બીજા એક લલ્લુ પૈસા ઉપાડવાને બદલે મૂકવા આવ્યો હતો. પૂછ્યું તો કહે, ‘માધવપુરામાંથી ઉપાડીને અહીં મૂકવા આવ્યો છું.. આ બે બેંકોમાંથી માધવપુરા પહેલી ડૂબે એવું લાગે છે!’ લાઇનમાં ઉભા રહેવાથી સ્ટેટસ વધતું હતું. એ વાત તો સાચી કારણ કે, જે ટાયર ટ્યુબોનું આખી ન્યાતમાં ક્યાંય ગોઠવાતું નહતું, એમનાં બાપાઓ બે દહાડાં લાઇનમાં ઉભા એમાં ગોઠવાઇ ગયું. ‘હવે અહીં દીકરી દેવામાં વાંધો નહિ.. બેંકોમાં એફ.ડી.ઓ. પડી લાગે છે!’ 

પણ આખા વિડિયો આલ્બમની શ્રેષ્ઠ પંકિતઓ સાંભળવા જેવી છે. પરમેશ્વર પર સિક્સર મારતા જાડીયો કહે છે, ‘કૈસે કૈસોં કો દિયા હૈ, ઐસે વૈસોં કો દિયા હૈ.’ વાત સાચી છે. સાવ લલ્લુ-પંજુઓને એસ્ટીમ, સેન્ટ્રો કે મેટીઝમાં ફરતાં જોઇને બે-ઘડી આપણને ય થઇ જાય, ‘ગાડીમાં બેઠાં પછી શોભીએ એવા આપણે છીએ ને આપણે અત્યારે ૯૦/૪ની લાઇનમાં ઉભાં છીએ..

પંડિત નહેરૂ એ જમાનાનાં અક્ષયકુમાર હતા. રામ જાણે શ્રીમતી તારકેશ્વરી સિંહા બચી કેવી રીતે ગયા. તારકેશ્વરી દેખાવમાં રાબડી બંધાવવી પડે એવા ન હતા. પણ શેરો-શાયરીનાં શોખિન હતાં. લોકસભાની ચૂંટણી પછી પહેલી બેઠકમાં તારકેશ્વરીએ જે નમૂનાઓને પાર્લામેન્ટમાં બેઠેલાં જોયા અને જેમને ન જોયાં, એમને યાદ કરીને સરસ શાયરી કહેલી,

‘‘કૈસે કૈસે લોગ, ઐસે-વૈસે હો ગયે,
ઐસે-વૈસે લોગ, કૈસે-કૈસે હો ગયે?’’

અદનાનનું આ ગીત જોયા પછી તહેલકાથી માંડીને મેચ ફિક્સીંગ બઘું હોવે હોવે લાગશે!

સિક્સર
એક મનહરિયત શેર:
એક એનું ના હોવું,
બાર તો વગાડે છે.’

14/03/2001

ભૂકંપનાં ફંડફાળા તમારે શેના આપવાનાં હોય ?

ગુજરાત પૂરતી આ કહેવત બદલવા જેવી છે. આપણે ત્યાં ‘લોભિયા’ નહિ, ‘દયાળુઓ’ હોય ત્યાં ઘૂતારા ભૂખે ન મરે,’ એવી કહેવત હોવી જોઈએ. કારગીલ હોય, પૂર-હોનારત કે ભૂકંપ હોય, સાલા આપણાં સેન્ટીમૅન્ટસને રમાડીને પૈસે પૈસો લઈ જાય છે ને ઘર ભરાય છે નેતાઓ અને સરકારી અધિકારીઓના ! ગુજરાતીઓ માટે એવું ક્યારેય ન હતું કે, પોતાની થાળીમાં એક જ રોટલી હોય એની અડધી રોટલી દાન કરી દે, ઓહ શટ અપ ! ગુજરાતીની થાળી માત્ર રોટલીની થપ્પી જ નહિ, મેવા-મિષ્ટાનથી હંમેશા ભરેલી રહેલી છે.. અમે લોકો અમારી થાળીમાંથી વઘ્યું ઘટયું દાનમાં આપતા નથી, ભરેલી થાળી નવી લાવી આપીએ છીએ. પૈસો ખૂબ છે તો બાકાયદા મેહનતથી કમાયેલો છે - ગરીબો કે ભૂકંપપીડિતોનાં ફાળામાંથી કટકી કરીને કમાયેલો નથી. ગુજરાતીઓ કમાય છે પ્રભુની દયાથી, પણ જરૂર પડે પ્રભુના ખિસ્સા પણ છલોછલ ભરી આપે છે. ભારતના કોઈ પણ ભગવાનો કરતા ગુજરાતના ભગવાનો વઘુ પૈસાવાળા છે - જરૂર પડે ઇન્કમટેક્ષ ભરવો પડે એવા કારણ કે ટહેલ નાંખો તો ગુજરાતીઓ ભગવાનની તિજોરી નહિ, આખેઆખા મંદિરો પૈસાથી છલકાવી દે એમ છે... અને આ વાત કોઈ વેપારી-ઉદ્યોગપતિ ગુજરાતીઓની જ નથી, આર્થિક રીતે સામાન્ય ગુજરાતી પણ બીજાને મદદ કરવા પોતાની છાતી ફાડી નાંખે એટલો દિલાવર છે. ભૂકંપ ગુજરાતને બદલે અસમ, કેરાલા કે મેઘાલયમાં આવ્યો હોત તો ય પૈસા તો અમે જ આપવાના હતા ને ? આપતા આવ્યા છીએ...!


અને આ ------ઓ (ગમે તે શબ્દ આમાં ભરી શકાય - શરત એટલી કે એ શબ્દ શબ્દકોષમાં ન હોવો જોઈએ !) આપણે પૈસે જલસા કરે છે. જે ગુજરાતીઓ મર્યા ન હોય તો મરવાના વાંકે જીવી ગયા છે, પીડાઈ રહ્યાં છે અને મદદની જરૂર ખરેખર તો એમને પોતાને છે છતાં જે શબ્દ તમે ભર્યો, એ શબ્દવાળાઓ પીડિતોને નામે આપણી પાસેથી પૈસા ઉઘરાવી પોતાના ખિસ્સાં ભરે છે. આવામાં ફંડફાળો આપીને ક્યાં સુધી આપણે બનવાનું છે ?


જે ફિલ્મસ્ટારો, ક્રિકેટરો કે નેતાઓ આપણને ભૂકંપ રાહત ફંડમાં દાન આપવાની અપીલો કરે છે, એને ગાળ દઈને જ પૂછવા જેવું છે, ‘તારા બાપાએ કેટલાં આપ્યા ? પહેલાં લાખ રૂપિયા તું આલ પછી અપીલો કરજે !’

આપણો પાછો વ્યક્તિપૂજાનો દેશ છે એટલે કોઈ બી ફિલ્મ સ્ટાર કે સાઘુબાવો વગર મફતની આવી ટહેલ નાંખે, એટલે કંઈ પણ વિચાર્યા વગર રૂપિયા છૂટા કરવા માંડીએ છીએ કારણ કે, આપણે એના ‘ફૅન’ કે ‘ભક્ત’ છીએ. પોતાના ખિસ્સામાંથી રૂપિયો ય કાઢવો નહિ, મફતમાં ટી.વી. પર અંગત પબ્લીસીટી કરાવી લેવાની ને રૂપિયા આપણા કઢાવવાના !... કોને માટે ? મિનિસ્ટરો અને ભ્રષ્ટ અધિકારીઓ માટે ! એકવાર ભૂજ-અંજાર જઈને જોઈ તો આવો કે ટ્રકોની ટ્રકો ફૂડ-પેકેટો ઠાલવીને જતી રહે છે, એ બઘું ફૂડ પડયું પડયું સડી ગયું ને કોઈ વહેંચનાર નથી. આ મોંઘવારીમાં બાજુવાળી દહીનું મેળવણ માંગવા આવે તો વિચાર કરવો પડે પણ ભૂકંપને નામે આપણે પોતે મિડલ ક્લાસના હોવા છતાં હજાર-પંદરસોનો ફાળો આપી દીધો હોય ને રૂબરૂ ભૂજ જાઓ ત્યારે ખબર પડે કે આ નેતાઓ જેટલી ક્રૂર મશ્કરી તો ખુદ કુદરતે ય નથી કરી આપણી ! આપણો ફાળો જાય છે ક્યાં ?

આ કૉલમની સામે કોઈ એક પણ નેતો જવાબ તો આપે કે, તું શેના માટે ભૂજ આંટો મારી આયો’તો ? તે ત્યાં જઈને કર્યું શું ? ખિસ્સામાંથી તેં એક રૂપિયો ય આલ્યો નથી ને લૂમ લેવા તું ત્યાં પહોંચી ગયો હતો ? એ લોકો ભૂકંપ કરતા તારાથી વઘુ પીડાયા છે. નસીબદાર છે તું કે ભૂખ અને અશક્તિને કારણે એ લોકોમાં હાથ ઉપાડવાની તાકાત નથી નહિ તો મરનારની સંખ્યામાં થોડો વધારો થાત !

વાત એક બીજી ય સમજવા જેવી છે. શક્ય છે, ભૂકંપમાં તમારા મકાનની કાંકરી ય ન ખરી હોય એટલે તમે માની લીઘું કે, બીજા મર્યાં એ ચોક્કસ ખોટું થયું, પણ આપણે બચી ગયા ! યસ, જાનમાલથી આપણે બચી ગયા છીએ પણ આવી રહેલા ટેક્સ અને ભાવવધારાના ભૂકંપોથી આપણે બચવાના નથી ! વિદેશોથી મળેલી લાખો પાઉન્ડ-ડૉલર્સની સહાય ‘લોન સ્વરૂપે’ છે, જે દૂધે ધોઈને પાછી ચૂકવવાની છે, એ માટે નવા ટેક્સ ને ભાવવધારો આપણે ભરપાઈ કરવાનો છે એ હિસાબે એ પણ તમે ધરતીકંપનો રાહતફાળો જ આપ્યો કહેવાશે ને ?

હું તો સ્પષ્ટ કહું છું ગુજરાતના ભૂકંપ માટે હવે પછી એક રૂપિયાનો ય ફાળો આપશો નહિ. ભૂકંપ લાખો મકાનો તોડે છે પણ ૨૦-૨૫ના મહેલો બનાવી આપે છે. કાટમાળમાં દટાયેલી લાશની આંગળીમાંથી સોનાની વીંટી કાઢી આવનારાઓએ મહેલો બનાવી નાંખ્યા ને જે લોકો સ્ટ્રેચર ઉપાડવા કે દવાઓ પીવડાવવા રોકાયા એમને ભૂકંપ રાહત-હૉસ્પિટલોમાં દાખલ કરવા પડયાં... દવા માટે વલખાં એમના જેટલાં તો કાટમાળ નીચેથી બચી ગયેલાઓએ ય માર્યા નથી. હવે ખિસ્સામાંથી રૂપિયો આપણે આલવાનો ન હોય. નાનું મોટું દસ-વીસ હજારનું નુકસાન આપણને ય થયું છે એ આપણા પગારમાંથી ભરવાનું છે. મઘ્યમ વર્ગમાં જન્મવાની સાલી સજા તો જુઓ... દસ-વીસ હજાર માટે ન તો ફાળો લેવાય, ન હાથ લંબાવાય, ન ઇન્કમટેક્સ મજરે મળે કે ન કોઈની સહાનુભૂતિ મળે ! ‘તમારા જેવા મોટા માણસને ૧૦-૨૦ હજારની શી વિસાત?’ આપણું એ નુકસાન આપણે જાતે ભરવાનું ને દાતારનાં દીકરા હોઈએ એમ પાછાં કર્ણ બની જઈએ, ‘લખી લેજો આપણાં એક હજાર એક ભૂકંપ રાહતમાં !’ આવો મર્દ છે ગુજરાતી ભાયડો ! ટાટા-બિરલા ૫૦ કરોડ આપે તો કાનખજૂરાનો એક બૂટ દાનમાં દીધો કહેવાય જ્યારે આપણા જેવા માટે હજાર રૂપિયા એટલે સીંગતેલના દોઢ ડબ્બા થયા ! આપણાં ઘરે ગાડી-બંગલો હોય તો પણ સોલ્લિડ મંદીના આ જમાનામાં હજાર રૂપિયા નાની રકમ નથી, એ જોતાં આપણાં હજાર રૂપિયા ટાટા-બિરલાનાં ૫૦ કરોડ કરતાં ઘણાં વધારે કહેવાય !

કમનસીબે, આપણે જેની સાથે જોડાયેલા હોઈએ, એ જ્ઞાતિ, સંસ્થા, નોકરી કે ક્લબ પણ મડદામાંથી પબ્લિસીટી કમાઈ લેવાની લાલચ રોકી શકતી નથી. આ બધી સંસ્થાઓ આપણે પૈસે પોતાનું નામ રોશન કરવા આગળ છે. વડાપ્રધાને પોતાના પગાર કે મૂડીમાંથી કેટલા રૂપિયા આપ્યા, એ તો એ જાણે પણ એમના નામનું રાહત ફંડ દર વખતે ઊભું જ હોય... વડાપ્રધાન કે મુખ્યપ્રધાનને વહાલા થવા માંગતા આપણાં જ ચેરમેનો-પ્રમુખે એમના બાપનો માલ હોય એમ આપણા પૈસે એમનો ફાળો નોંધાવી આવે...! અને વડાપ્રધાનના રાહત ફંડમાંથી ય ખરેખર કેટલાં પહોંચ્યા એની કોને જાણ થાય છે ?

તો ક્યા કરે ફિર ? આપણા જ ભાઈ-બહેનો મુશ્કેલીમાં હોય તો આપણે ફાળો ય નહિ આપવાનો ? નેતાઓ નાલાયક એમાં પીડિતોનો શું વાંક ?

શ્રેષ્ઠ રસ્તો એ છે કે જે કાંઈ મદદ કરવી હોય તે રૂબરૂ જઈને કરવી જોઈએ. એવો ટાઇમ ન હોય તો તમારા જેવા ૧૦-૧૨નું ગ્રુપ બનાવીને ગમે તે એકને ફાળો આપી ભૂજ મોકલવો જોઈએ... તમે જેને મોકલશો એ વિશ્વાસપાત્ર તો હોય જ ને... ? તમે ક્યાં ગાંધીનગરમાં કોઈ ‘સાહેબ’ છો ?

સિક્સર
- ધરતીએ આકાશને શું કહ્યું ?

- અબ મિલતે હૈ, બ્રેક કે બાદ !

07/03/2001

ભૂકંપની આગાહી કરનારને બે થપ્પડ મારજો !

સૌ પ્રથમ તો આ લેખ લખવા બદલ મારી ધરપકડ થવી જોઈએ કારણ કે, જાણવા છતાં કે ભૂકંપની અફવાનો મજાકમાં ય ઉલ્લેખ કરવામાં લોકો ફફડી જાય છે. જેમનું કાંઈ-કશું ગયું નથી, એમને માટે ભૂકંપની વાતો મજાક-મશ્કરીથી વિશેષ કાંઈ નથી એટલે મજાકમાં ય ‘‘બૉસ... આ ૧૦મીએ મોટો આવવાનો છે... કોઈકે ઇન્ટરનેટ પર ચલાવી છે... !’’ એવું કહી શકે છે. આવા થર્ડ કલાસ લોકો વિશે લેખ લખવો એ પણ હલકાપણું કહેવાય, એ જાણવા છતાં બીજો એક ગૂન્હો કરી લેવો છે. પત્રકારત્વની નૈતિકતાઓ (હા, ક્યારેક ‘નૈતિકતા’ નામનો શબ્દ પત્રકારત્વની સાથે પણ જોડી શકાય છે... આઈ મીન, મજાકમાં!) મુજબ, કોઈ પણ સમાચાર કે લેખમાં પ્રજા ઉશ્કેરાય એવું કાંઈ પણ લખી ન શકાય એ જાણવા છતાં હિંમત કરીને પ્રજાને અપીલ કરવી છે કે, ભૂકંપની આગાહી બાબતે કોઈ પણ વ્યક્તિ મજાકમાં/ ગંભીરતાથી/માહિતી ખાતર કે પછી/ બસ, એમ જ પૂછપરછ કરતી હોય તો સણસણાવીને બે તમાચા ચોડી દેજો.

‘‘એ... શું... આ ૧૦મીનું સાચું લાગે છે?’’ એવી બેવકૂફી ભરી વાત કરીને આવો કે આવી એકાદ ઇડિયટ વાતની શરૂઆત કરે છે. ‘‘આપણે તો ખાલી સાંભળ્યું છે... કહે છે કે, બહુ એનાલિસીસ કરીને... આજ સુધીનાં તમામ ધરતીકંપોની તારીખો કાઢીને એની એવરેજ કાઢી છે... એમાં ૧૦મી માર્ચ આવી છે.’’

સાલી આવી વાતો આપણને પૂછવા આવે. આપણે અમથા ય ધરતીકંપની વાતોથી હવે અકળાયા હોઈએ એટલે આવી ફાલતું વાતનો જવાબ આપવાની પણ જરૂર ન હોય પણ પૂછનાર ભણેલ-ગણેલ હોય-અધરવાઇઝ સન્માન્નીય હોય એટલે ગુસ્સો ગળી જવો પડે, નહિ તો સોલ્લિડ ચચરે એવી થપ્પડો ઝીંકી દેવાની ઇચ્છા થાય. આ દુનિયામાં એક માણસ પેદા થયો નથી જેને ધરતીકંપની આગાહી બાબતે એક ઇંચનું ય નોલેજ હોય! જે લોકો ધરતીકંપ બાબતે સમજણા થયા ત્યારથી અભ્યાસ કરી રહ્યાં છે અને વિશ્વના સર્વોચ્ચ વિજ્ઞાની બન્યાં છે, એ લોકો સ્પષ્ટ કબુલ કરે છે કે, ભૂકંપ બાબતે મહિનાઓ કે સપ્તાહો પહેલાં તો ઠીક, બસ સેકન્ડ પહેલાં ય આગાહી કરવી શક્ય નથી. કોઈને માટે. ભૂકંપનું નોલેજ પોટેશ્યમ સાયનાઇડ જેવું છે. જગતનું સૌથી ફાસ્ટેસ્ટ ઝેર આ સાયનાઇડ છે, જેનો સ્વાદ કેવો છે, એ હજી સુધી કોઈ વૈજ્ઞાનિક જાણી શક્યો નથી. જીભને અડતાંની અડધી સેકન્ડે જ એ માણસને મારી નાંખે છે. કોઈને યાદ હોય તો રાજેશ ખન્ના-શર્મિલા ટાગોર વાળી ફિલ્મ ‘સફર’માં ફિરોઝખાન સાયનાઇડ પી જાય છે ને ક્ષણના ય સોમાં ભાગમાં જીંદગી પૂરી થઈ જાય છે. ભૂકંપનું ય એકઝેક્ટ એવું છે. એનું એકેય રહસ્ય જાણી શકાયું નથી. જે લોકોએ આ રહસ્યો પામવામાં લેબોરેટરીઓથી માંડીને જ્યાં જ્યાં એપિસેન્ટરો હતાં, ત્યાં રૂબરૂ જઈ, વર્ષોનાં વર્ષો મેહનત-અભ્યાસો કર્યાં, એ વૈજ્ઞાનિકો નમ્રતાપૂર્વક કબુલ કરે છે કે, ‘અમે આખી જીંદગી આના અભ્યાસ પાછળ ખર્ચી નાંખી... પણ એની આગાહી વિશે તસુ પણ જાણતાં નથી’ - ને બીજી બાજુ આપણાં સાલાં લલ્લુ-પંજુ જેવા જ્યોતિષીઓ, પાનને ગલ્લે ઊભા રહેનારાઓ કે પછી ઓફિસોમાં ટોળે વળનારાઓ વગર મેહનતે બસ, આસાનીથી કહી દે છે, ‘‘બૉસ... આ દસમીએ ૬.૯ વાળો આવવાનો છે!’’

અલ્યા, બારમાના મેથ્સમાં તારે પૂરા ૧૦૦માંથી ૬.૯ માર્કસ નહતાં આવ્યાં ને તું અહીં રિચટર-સ્કેલના આંકડા બોલવા માંડ્યો છે? એ તો પછી ખબર પડે, કે મૂળ તો ભ’ઈ વરલી-મટકાનાં જૂનાં ખેલાડી... ! ૨૬મીએ પહેલો ભૂકંપ ૬.૯નો આવ્યો એમાં એ એટલું જ સમજ્યો હતો કે બંધમાં છગ્ગો ખૂલ્યો!

ઈન ફેક્ટ, જે લોકોએ આ ધરતીકંપમાં થોડુંય ગૂમાવ્યું છે એમને હિંમત આપવા ખાતર પણ આવી નોનસેન્સ વાતો બંધ કરવી જોઈએ. (યોગાનુયોગ છે... ૪થી માર્ચ, ૨૦૦૧ને રવિવારે બપોરે ૧.૨૩ વાગે સારો એવો આફટર-શોક આવ્યો. હું લખી રહ્યો છું એમાં ઉપરના પહેલાં વાક્યમાં ‘‘જે લોકોએ આ...’’ શબ્દો લખ્યા, ત્યાં જ બઘું હલબલ્યું... અમારું ફેમિલી ટેરેસ પર જતું રહ્યું... પાછો લખવા બેઠો છું બરોબર ૧.૨૮ મિનીટે! જીવ મને ય વહાલો છે. હું ય કોઈ હીરો નછી, પણ પરમેશ્વરે પોઝિટિવ થિન્કિંગ કરતું ભારે શક્તિશાળી મગજ આપ્યું છે. ઉપરવાળો ઝાટકા આપી આપીને બ્હીવડાવી રહ્યો છે એ એનો નેગેટિવ અર્થ થયો અને ભાવનગરવાળાઓની માફક આપણને હવે તૈયાર કરી રહ્યો છે - ટેવાઈ જાઓ. નિશ્ચિંત થઈ જાઓ. જે દિવસે જે થવાનું હશે એમાં પાંચમની છઠ થવાની નથી. મારું મૃત્યુ (હમણાં ટીવી વાળાઓએ પોપ્યૂલર કરેલા શબ્દ) ‘મલબા’ નીચે લખાયું હશે તો મારી જ્યોતિષી પત્ની ય મને બચાવી શકવાની નથી. મારી પોતાની ઇચ્છા મારી ૧૦૭ વર્ષની ઉંમરે માઉન્ટ એવરેસ્ટ પરથી ભૂસકો મારીને દેહત્યાગ કરવાની છે. બહુ લાંબુ જીવવાની મને લાલચ નથી. કારણ કે, એ જ ઉંમરે મારે વાયા-એવરેસ્ટ ‘‘ઉપર’’ જવાનું હોય તો ગમે તેટલાં ધરતીકંપો ય મારું શું તોડી લેવાનાં છે? અમેરિકાથી આવેલાં એક ભાઇએ કહ્યું, ‘‘આ ભૂકંપ બી સાલો વર્લ્ડ-ટુર પર નીકળ્યો છે.’’ અમેરિકામાં રહેતાં એક ડોકટરનેમેં પૂછ્યું, ‘‘તમારે ત્યાં ય આયો?’’ તો મને કહે, ‘‘દાદુ, તમને મારી ઉપર ડાઉટ નથી ને?’’ ગાંધીનગરના નિરંજન શુકલ ધરતીકંપની બરબાદીઓ જોઈને કહે છે, ‘હવે કોઈને હું બરબાદ થઈ ગયો’ એવું ઇંગ્લિશમાં કહેવું હશે તો કહેશે, ‘‘I was Bhachuaed’’ અથવા ‘‘લ્લી ુચજ છહલચિીિગ’’ અથવા ‘‘જીરી ુચજ ર્મ્રર્લીગ’’ કહેશે! અમારા જામનગરવાળા નવી કટ લઈ આવ્યાં છે. એ કહે છે, ‘‘આજકાલ અમદાવાદમાં ટેલીફોન પર કોઈ ‘હલ્લો’ બોલતું નથી... એના બદલે ‘‘હલ્યું?’’ એવું પૂછે છે! 

સ્વયં ભગવાને ય વિકૃત થતો જાય છે. સાફ કરવા હોય તો એક ઝાટકે પતાવી દેને, ભ’ઈ! આમ ઝટકે-ઝટકે શું કામ ઊંચા કરી નાંખે છે? ખુદ તારે શેષનાગને બદલે ફલેટ છોડીને તંબુમાં સુવાનું આવ્યું હોત તો ખબર પડત કે, ઝાટકા કેવા લાગે છે!

દોસ્તો, માનવતામાં થોડો ય વિશ્વાસ હોય તો ધરતીકંપની આગાહી વિશેની કોઈ પણ ચર્ચા ઊગતાં જ ડામી દો. એ વિષય તમારો નથી. આમાં તો આવી વાત શરૂ કરનારનું અપમાન જ કરવું પડે. ‘‘શું લાગે છે ૧૦મી માર્ચનું?’’ એ પૂછતાની સાથે જ બે થપ્પડ એને પડી જવી જોઈએ. જે હરામજાદાઓ દાવો કરે છે કે, મારી આગાહી સાચી પડી હતી, એ બધાંની બોચી પકડીને પૂછો તો ખરાં, કે, ‘‘૨૬ જાન્યુઆરી પહેલાં તમે ક્યાં હતાં?’’


સ્વયં હું જ ઇચ્છું છું કે, મારા આજના લેખનાં કોઈ વખાણ ન થાય... ! લેખને બહાને તમને હોરર યાદ કરાવવાનો અપરાધ મેં પણ કર્યો છે... એટલે, ‘નો સિકસર ધીસ ટાઇમ!’