* લગ્નને પ્રભુતામાં પગલાં પાડ્યા કહેવાય,તો છુટાછેડાને ?
- ઊલટા પગલાં.
(એ. પી. પંચાસરા, રાજકોટ)
* પ્રેમી અને પાગલ વચ્ચે કોઈ તફાવત ?
- એ તફાવત પ્રેમી શોધી શકે... પાગલને નહિ ખબર પડે !
(‘રાજ’ રોહિત, લાંભવેલ)
* અશોક દવે અને બિરબલ વચ્ચે કેટલો ફેર ?
- બિરબલને ફક્ત બાદશાહને ખુશ કરવાના હતા... મારે પ્રજાને !
(મંજુલા પરમાર, ગાંધીનગર)
* રોજ ચા પીધા પછી તમે શર્ટ બગાડો છો, તો બા ખીજાતા નથી ?
- હવે તો સુધર્યો છું. પહેલાં તો ચા હું પીતો ને શર્ટ બીજાનું બગાડતો !
(મણીબેન પટેલ, ઊંટડી-વલસાડ)
* ત્રણ ગુજરાતી બિગ શોટ્સ, મયૂર માધવાણીને મુમતાઝ, અનિલ અંબાણીને ટીના મુનિમ અને જય મેહતાને જુહી ચાવલા મળી, તો તમને ડિમ્પલ કેમ ના મળી ?
- આવું સમાજ ડિમ્પલને સંભળાવે છે... ખન્નો ગબડ્યો... સની દેવલો ય વાવટા ફરકાવી ન શક્યો... અને હવે અશોકજી પણ...???
(પી. આર. નાણાવટી, જામનગર)
* શું રૂપાળી છોકરી સાથે સગાઈ કરવામાં જોખમ કહેવાય ?
- એને મારે કહેવાય.
(દીપ પરીખ, રાજકોટ)
* ડૉકટર, વકીલ કે પોલીસ એમના યુનિફોર્મથી ઓળખાય, પણ લેખકને કેવી રીતે ઓળખવા ?
- એમના જેવી જ કૉલમ લખતા બીજા લેખકના વખાણ કરી જોવા... લેખક તો નહિ ઓળખાય, પણ એમાંનો ‘માણસ’ ઓળખાઈ જશે !
(મઘુકર પી. માંકડ, જામનગર)
* હિસ્સારની પેટાચૂંટણીઓમાં કોંગ્રેસની બેરહેમીથી આવી ધોલાઈ...?
- કૉંગ્રેસે જે ઈજ્જત ભેગી કરી છે,એ પછી પોળ કે સોસાયટીની ચૂંટણીમાં એના આ જ હાલહવાલ થાય !
(પ્રશાંત મેહતા, સુરત)
* રસ્તાઓ ઉપર ઢોરોનું સામ્રાજ્ય છે. શું કરવું જોઈએ ?
- ઢોરોએ બસ.. વિવેક રાખવો જોઈએ.
(દેવેન્દ્ર એસ. શાહ, વડોદરા)
* ઘરવાલી અને બાહરવાલી વચ્ચે શું ફેર ?
- ઘરવાળીમાં છોકરાનું નામ આપણે પાડવાનું હોય છે.
(ચતુરભાઈ પોસ્ટમૅન, અંકલેશ્વર)
* દિલની લાગણીઓ વેરાન થઈ ગઈ છે. ફરીથી વસંત મહેકાવવા શું કરવું ?
- રોજ છાતી ઉપર યુરીયાનું ખાતર નાંખીને સુઈ જાઓ.
(સુમન વડુકુળ, રાજકોટ)
* ઐશ્વર્યા રાય મમ્મી બને, ત્યારે હું કાંઈ મદદ કરી શકું, તેવી ઈચ્છા છે.
- એના ડૉકટરનું બિલ તમે ભરી દેજો.
(શ્રીમતી ભારતી મહેશ, નડિયાદ)
* ગોરધન શ્યામળો લાગતો હતો, પણ લગ્નના આટલા વર્ષો પછી શું ફરક પડે ?
- ‘શ્યામ રંગ સમીપે ન જાઉં...’ એ અમલ આટલા વર્ષો પછી શરૂ થાય તો ફરક પડે !
(ડો. પ્રવિણગિરી ગોસ્વામી, પોરબંદર)
* ‘પતિ’ અને ‘પરમેશ્વર’ વચ્ચે શું તફાવત ?
- પરમેશ્વરને આખું ગામ અન્નકૂટ ધરાવે...!
(શ્રીમતી જાગૃતિ ગોસ્વામી, પોરબંદર)
* કોંગ્રેસને હવે આરામની જરૂર છે, એવું નથી લાગતું ?
- મુડદે કી જાન ખતરે મેં હૈ...!
(મહેશ એસ. ચૌહાણ, કઠલાલ)
* હવે લાલકૃષ્ણ અડવાણી ય પોતાને વડાપ્રધાનપદના ઉમેદવાર માને છે...!
- ઘો મરવાની થાય ત્યારે...
(પન્ના વૈ. શાહ, અમદાવાદ)
* ‘ફૂલડાં ડૂબી જાય છે ને પથરાં તરી જાય છે... એવું શીદ ને થાય છે ?’
- કવિતામાં એવું થાય, વિજ્ઞાનમાં ના થાય.
(ગોધરા સબ જેલના કૈદીભાઈઓ, ગોધરા)
* જ્યારથી ઍનકાઉન્ટર સ્પેશિયાલિસ્ટો જેલમાં બંધ છે, ત્યારથી ગુજરાતમાં આતંકવાદીઓ આવતા બંધ થઈ ગયા છે... શું કારણ ?
- નેટવર્ક પકડાતું નથી !
(નાઝનીન એ. સૈયદ, વડોદરા)
* તમે નસીબમાં માનો છો ?
- ‘ઍનકાઉન્ટર’ જેવી કૉલમ પણ ચાલી... એટલે માનવા માંડ્યો છું.
(હાર્દિક યતીશભાઈ પરીખ, સુરેન્દ્રનગર)
* માણસ મૃત્યુ પામ્યો ક્યારે કહેવાય ?
- એને સ્મશાનમાં બાળી આવે ત્યારે.
(સંઘ્યા ડી. પુરોહિત, અમદાવાદ)
* ગયા શ્રાવણ માસમાં ૧૬- પોલીસકર્મીઓને જીલ્લા પોલીસવડાએ બાલદાઢી વધારવાની છૂટ આપી હતી... નેતાઓ માટે આવી કોઈ મંજૂરી જરૂરી નહિ ?
- એ લોકો મંજૂરી માંગે તો, પેલા ૧૬-જણાઓ માથે તોલું કરાવવાની નવી મંજૂરી માંગશે !
(જયશ્રી વી. દવે, ગાંધીધામ- કચ્છ)
* આપ જામનગરને ખૂબ ચાહો છો.. કોઈ કારણ ?
- ત્યાંની સ્ત્રીઓને મારૂં લોહી બહું ભાવે છે...!
(બાલુભાઈ જે. સંપટ, મુંબઈ)
* ભ્રષ્ટાચારને જ શિષ્ટાચાર ગણી લેવાય તો ?
- હઓ.. મને વાંધો નથી.
(સલમા મણીયાર, વીરમગામ)
* આપની સાથે બદતમીઝીથી પેશ આવનાર સાથે આપ કેવો વ્યવહાર કરો છો ?
- પોરસ રાજાએ સિકંદર સાથે કર્યો હતો એવો !
(શ્રીમતી કરૂણા પટેલ, વડોદરા)
* માના પગ નીચે જન્નત છે, તો બાપના પગ નીચે ?
- જન્નતની રખેવાળી.
(ઝહેરા મુનિમ, નાસિક- મહારાષ્ટ્ર)
* કવિ અખાએ લખ્યું હતું, ‘અમારા તો આટલા અંધારે ગયા, તમે આવા ડાહ્યા ક્યાંથી થયા ?’ આ તમારા સંદર્ભે લખાયું હોય, એવું નથી લાગતું ?
- સ્વ. ડાહ્યાલાલ દવે એમની દીકરી મારી સાથે પરણાવ્યા પછી સ્વયં અંધાર ગયા હતા, એટલી ખબર છે.
(રણધીર દેસાઈ, સુરત)
* તમને ક્યો પ્રશ્ન પૂછવો, તે વિચારતા ય સમય લાગે છે, તો જવાબ આપતા તમારી સ્થિતિ કેવી હોય છે ?
- જવાબો આપતી વખતે પૂછપરછની બારીએ બેઠો હોઉં, એવું લાગે છે !
(દેવાંગ વિભાકર, રાજકોટ)